logo

સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓનો સામાજીક વિકાસ



પ્રસ્તાવનાઃ

ભારતને આઝાદી મળી તે પહેલા સૌરાષ્ટ્રમાં બસો બાવીશ રજવાડાઓ હતા.સૌરાષ્ટ્ર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ પ્રદેશ છે. આ પ્રદેશ કાઠીયાવાડી નામથી ઓળખતો રહ્યો છે.૧૯મી સદીની શરૂઆતથી ભારતમાં સુધારક વર્ગે સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે સુધારા કરવા પ્રયત્નો કર્યા.તેની અસર ગુજરાતમાં પણ થઇ.રાજા રામ મોહનરાય,કેશવચંદ્ર સેન,મહર્ષી કર્વ વગેરે સુધારકોના કાર્યોની અસર રૂપે ગુજરાતમાં સામાજીક અનીષ્ઠો સામે જેહાદ જગાવવા તથા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે નર્મદ,દલપતરામ,મહીપતરામ,કરશનદાસ મુળજી વગેરેએ આ દિશામાં નોંધપાત્ર પ્રયત્નો કર્યા.

કવિ નર્મદ સ્ત્રીઓના સમાનતાના હિમાયતી હતા.૨ જયારે દલપતરામે તો ત્યાં સુધી કહ્યું હતું કે “ સ્ત્રીઓ સુધરશે તો ફળ ઉત્તમ થશે અથવા પૃથ્વી સુધરશે તો જ ત્યાં પાક સારો પાકે ”.

આમ ભારતના અન્ય પ્રાંતોની જેમ ગુજરાતના સમાજસુધારકો પણ જાગૃત થતા અને સમાજના વિવિધ ક્ષેત્રે સુધારાના હિમાયતી બન્યા. તેમાં સ્ત્રી ઉન્નતિની બાબતમાં તેઓ વિશેષ પ્રયત્નશીલ બન્યા હતા.

૧૯મી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓના સામાજિક વિકાસ માટેની પ્રવૃતિઓ -

૧૯મી સદીમાં સૌરાષ્ટના બહેનોની હાલત અતિ દયનીય હતી.બાળલગ્ન,સતીપ્રથા,વિધવા વિવાહની મનાઈ,નહીવત કન્યા કેળવણી વગેરે પરિબળોને કારણે સ્ત્રી ઉન્નતિનો અવકાશ જ ન હોતો. આ સમયે મણીશંકર કિકાણી, ગગા ઓઝા,ગોકુલજી દિવાન,મણીલાલ, સયાજીરાવ ગાયકવાડ વગેરે અનેક સમાજસુધારકોએ સમાજ સુધારા ક્ષેત્રે પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું.

સૌરાષ્ટ્રમાં સામાજીક સુધારાઓ દ્વારા સ્ત્રીઓના સામાજિક ઉત્કર્ષ માટે ભાવનગર રાજય વધુ જાગૃત હતું. સૌરાષ્ટ્રની બહેનોની સ્થિતિ સુધારવા માટે અને તેઓને જાગૃત કરવા માટે ભાવનગરના શ્રી મણીલાલ ત્રિવેદી ૧૮૮૫માં ‘પ્રિયવંદા’ સામાજીક શરૂ કર્યું. જે સ્ત્રી સામાયિક હતું. તેમાં જાગૃત વિષયક લેખો લખવામાં આવતા હતા. જુનાગઢ રાજયમાં પણ સ્ત્રીઓનો સામાજિક વિકાસ પત્યે વિશેષ ધ્યાન આપ્યું હતું. માત્ર જુનાગઢ માટે જ નહી પરંતુ ગુજરાત અને ભારતના સ્ત્રી સમાજ માટે ગૌરવરૂપે કહી શકાય તેવું એક પુસ્તકાલય જુનાગઢમાં હતું. જયારે સ્ત્રી કેળવણી સમાજમાં નહિવત હતી.ત્યારે જુનાગઢના નાગર બ્રાહ્મણ શુકલ નરભેરામ પુરુષોત્તમની વિધવા પત્નીએ પોતાના પતિ પાછળ “વેદધર્મ પુસ્તકશાળા” શરૂ કરી હતી.

સ્ત્રીઓની બોદ્ધિક શક્તિને પ્રેરે તેવા લખાણો લખવાની શરૂઆત તથા પુસ્તકાલયની શરૂઆતનો ૧૯મી સદીના અંતમાં સૌરાષ્ટ્રમાં થઇ હતી. ચોરવાડના ગીરનાર બ્રાહ્મણ પઢીયાર અમૃતલાલ સુંદરજીએ સામાન્ય શિક્ષણ પામેલ સ્ત્રીઓ સહેલાઈથી સમજી શકે તથા તેમના વિચારો ઉન્નત થાય તેવા લખાણવાળા અનેક “સ્વર્ગ” નામથી શરૂ થતા ગ્રંથો લખ્યા છે. જેમ કે જેમાં સ્ત્રીઓનું સ્વર્ગ અને સુંદરીયો મુખ્ય છે.૪ તો “આર્ય વિધવાઓ” નામનું તેમનું પુસ્તક વિધવાઓ પત્યેની લાગણી દર્શાવે છે.તેમના ગ્રંથોમાં સ્ત્રીઓની ઉન્નતિ વિષયક લખાણ હોવાથી સ્ત્રી સમાજ ઉપર તેની સારી અસર થઇ. તો ભાવનગર આર્ય વિધવાઓની પરિસ્થિતિનું તેમાં ચિત્રણ કરી તે અંગેના પોતાના મંતવ્યો રજુ કર્યા છે. નાગર ગૃહસ્થા લાલુભાઈ શામળદાસના પુત્ર માંગરોળના અનંતપ્રસાદ વૈષ્ણવ હતા.તેઓએ “શાંતિદા” અને “કમળકુમાર” “વસંત સુંદરી સુબોધ આનંદ વગેરેના માસિકમાં પોતાના લેખ પ્રસિદ્ધ કરાવતા.૫ જૂનાગઢથી બહાર પડતા સમાચારપત્ર “સૌરાષ્ટ્ર દર્પણ” માં સ્ત્રી ઉન્નતિની પ્રવૃત્તિને વેગ આપતા દ્રષ્ટાંતો ટાંકવામાં આવતા જેમ કે,

“કહે નેપોલિયન દેશને કરવા આબાદ
સરસ રીતે તો એજ છે કે દો માતાને જ્ઞાન.૬

ગોંડલ સુધારક મનોવૃત્તિ ધરાવનાર રાજવી શ્રી ભગવતસિંહજીએ સ્ત્રીઓના સામાજીક અને શૈક્ષણિકક્ષેત્રે વિકાસ માટે પણ પ્રયત્નો કર્યો.જેમાં તેમણે પડદા પ્રથાનો ત્યાગ કરી પોતાની કુંવરીઓને સામાન્ય વિધાર્થીનીઓની જેમ શિક્ષણ લેવા મોકલી હતી.૭ ભગવતસિંહજીના માતૃશ્રી મોંઘીબાનો જાહેર મેળાવડો અને સમાંરભોમાં પણ જતા હતા.૮ ભાવનગરના રાજવી જસવંતસિંહ પણ પોતાના શાસનકાળ દરમ્યાન પડદા પ્રથા ત્યાગ કરાવી પોતાની કુંવરીઓને ખુલ્લી બગીમાં બેસાડી શાળાએ મોકલતા.

આમ સૌરાષ્ટ્રના કેટલાક રજવાડાઓમાં ૧૦મી સદીના ઉતરાર્ધનાં સ્ત્રીઓના વિકાસ માટેની પ્રવૃતિઓ શરૂથઇ હતી અને રાજય તરફથી તેઓને પ્રોત્સાહન પણ મળી રહેતું હતું. જેમકે ગોંડલમાં બહેનો મેટ્રીકની પરીક્ષા પાસ કરે તેને રાજય તરફથી ઇનામ અને આગળ ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ અપાતી હતી અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર સ્ત્રીને રાજયમાં નોકરી આપવાની જાહેરાત કરી.૧૦ ગોંડલની જેમ અમરેલી પ્રાંતમાં પણ ફરજીયાત કેળવણીની શરુઆત થતા સૌરાષ્ટ્રના ઘણા રજવાડામાં કન્યા શાળાઓ શરૂ થઇ અને સ્ત્રીઓ શિક્ષણ લેતી થઇ પરંતુ સ્ત્રીઓના ઉત્કર્ષ માટે જોઈએ તેટલી જાગૃતિ સમાજમાં આવી ન હતી.

૨૦મી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓના સામાજિક વિકાસ માટેની પ્રવૃતિઓ

૨૦મી સદીની શરૂઆતમાંથી જ ગાંધીજીના ભારતમાં આગમન સાથે જ ભારતના અન્ય પ્રાંતોની જેમ સૌરાષ્ટ્રમાં પણ સ્ત્રી વિકાસ પ્રવૃતિને વેગ મળ્યો. કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે તે પ્રમાણે “સ્ત્રી અત્યાર સુધી ઘરના બારણે ઉભી રહી ઘુંઘટના એક ખૂણામાંથી આ અર્ધ પ્રત્યક્ષ જગતને પોતાની કલ્પનાના મિશ્રણ દ્વારા જોતી હતી. ગાંધીજીએ તેનો ઘૂંઘટ ખોલાવી નાખ્યો અને બહારના ખુલ્લા વાસ્તવિક જગત સામે ઉભી કરી દીધી. ગાંધીજી કહેતા કે જ્યાં સુધી હિન્દની સ્ત્રી અજ્ઞાન,વહેમ,અંધશ્રદ્ધા,સામાજીક પ્રથામાં જકડાયેલી રહશે ત્યાં સુધી હિન્દની સ્વત્રંતાનો કશો અર્થ નથી અને સ્ત્રીઓની ઉન્નતિ વિના હિન્દુસ્તાન કદી શુદ્ધ સ્વરાજ નહી ભોગવી શકે.૧૧ ગાંધીજીએ આઝાદી અપાવવા માટેનો રથ આગળ ચલાવ્યો ત્યારે ભારતીય નારી પર પહેલી જ વાર જાણે કે વીજળીના કરંટની અસર થઇ હોય તેમ એકા એક પોતાનું ગૌરવ તથા શક્તિ ફરી પાપ્ત કરવા ઉભી થઇ.

  • સ્ત્રીઓના સામાજિક વિકાસમાં રચનાત્મક પ્રવૃતિઓનો ફાળો.

    ગાંધી ચિંધ્યા માર્ગે રચનાત્મક પ્રવૃત્તિઓ કરીને સમાજનો ઉત્કર્ષ કરવામાં પ્રજાકીય ચળવળ કરનારા આગેવાનોનો ફાળો મહત્વનો હતો. સામાજિક ઉત્કર્ષની પ્રવૃત્તિમાં સ્ત્રીઓનું પ્રદાન સંપૂર્ણ સ્વતંત્ર રીતે તો ખૂબજ ઓછું હતું પરુંતુ મોટા ભાગની સ્ત્રીઓ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેનારના કુટુંબો સાથે સંકળાયેલી હતી.૧૨ જેમકે ભક્તિબા દેસાઈ,કસ્તુરબા ,શારદાબેન ,ફુલચંદ શાહ, દશહરાબેન,રમાબેન ગાંધી,કમળાબેન,દુર્ગાબેન ભટ્ટ નર્મદાબેન,કસ્તુરબા,મેરીબેન,રુક્ષ્મણીબહેન શાહ,વિજયાબેન ગાંધી,હીરાબેન,પુષ્પાબેન મહેતા વગેરે..

    આ સ્ત્રીઓના કાર્યની વિશેષતા એ હતી કે નાત જાતના ભેદભાવ રાખ્યા વિના તેઓ સમાજમાં સમન્વય સાધવા પ્રયાસ કરતી હતી. તત્કાલીન સમાજની પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રની અનેક બહેનોને ઘરની ચાર દીવાલ વચ્ચે પુરાઈ રહેવાના બદલે ઘર બહારની પ્રવૃતિઓમાં ભાગ લેતી થઇ. જેમાં વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર,અસ્પૃશ્યતા નિવારણ, કન્યા કેળવણીને પોત્સાહન, દારૂબંધી, ખાદી પ્રચાર વગેરે અનેક પ્રવૃત્તિઓ સક્રિય કામગીરી કરવા માંડી.

    સૌરાષ્ટ્રની બહેનો કે જેઓ ક્યારેય ઘરની બહાર નીકળતી ન હોતી તેવી બહેનો દારૂના પીઠા પર જઈ દારૂ પીનારને દારૂ છોડવાનું સમજાવતી એટલું જ નહી. દારૂના પીઠા પર પીકેટીંગ કરવામાં સૌરાષ્ટ્રની સ્ત્રીઓ ભાગ લીધો. સમાજમાંથી આ દુષણ દૂર કરવાના ભગીરથી પ્રયત્ન કર્યા. જો કે ઘણી વખત સ્ત્રીઓ અયોગ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોવા છતાં બહેનો પોતાના ધ્યેયને સંપૂર્ણ અડગ રહી એ દ્વારા દારૂ પીનારને વ્યસનમાંથી મુક્ત કરી તેની આર્થિક સુધારી તેમના કુટુંબના સભ્યોને આ રીતે મદદરૂપે થવાના પ્રયત્નો કર્યા. જે સામાજિક વિકાસનું કાર્ય હતું. ઢસાના દરબાર ગોપાળદાસના પત્ની ભક્તિબેન સામાજિક સુધારણાની શરૂઆત પોતાના કુટુંબથી જ કરી. લગ્ન પછી તેઓ જયારે વસો ગયેલા ત્યારે ત્યાં શારદાબેન મહેતા સાથે ત્યાનું સાર્વજનિક પુસ્તકાલય ખુલ્લું મુકવા ભક્તિબેન શારદાબેનની સાથે ખુલ્લે મોઢે ભરબજારે ચોપદાર વિના પગમાં બુટ પહેરીને નીકળ્યા.આમ એક સાથે તેમણે તે ચાર રૂઢિઓનો ખુલ્લે આમ ભંગ કર્યો છે.એ એક કાંતિકારી પગલું હતુ.૧૩ આમ પોતાના કુટુંબના રૂઢિગત રીવાજો સામે બંદ પોકારી સફળતા મેળવનાર ભક્તિબેને પોતાના પતિને દારૂની આદતમાંથી પણ મુક્તિ અપાવવામાં સફળતા મેળવી હતી. જો કે ભક્તિબેન ત્યારે પછી સૌરાષ્ટ્રની અનેક સ્ત્રીઓને દારૂના પીઠા ઉપર પીકેટીંગ કરવા માટેના પ્રેરકબળ બન્યા. વઢવાણની સ્ત્રીઓ ફૂલચંદભાઈ શાહની આગેવાની હેઠળ દારૂના પીઠા બંધ કરાવવામાં સફળ રહી.

    આમ દારૂ પીને ભાન ભૂલેલા લોકોનું દારૂના પીઠા પર જઈ સમજાવાના કાર્યમાં સ્ત્રીઓએ જે ભૂમિકા ભજવી તે પ્રશંસનીય છે. સ્વદેશી વસ્તુના વેચાણ વિદેશી માલનો બહિષ્કાર કરવાના કાર્યમાં પણ સ્ત્રીઓ જોડવા લાગી.તો ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણનો પ્રવૃતિમાં સ્ત્રીઓ હોંશે હોંશે કામગીરી કરવા માંડી. હરીજનવાસમાં જઈ ત્યાના કુટુંબ સાથે ઓતપ્રોત થઇ સ્વચ્છતાના પાઠ શીખવતી રમાબેન જોશી, વિમલાબેન,નિર્મલાબેન, શારદાબેન,હીરાબેન,દશેરાબેન વગેરે શ્રી સૌરાષ્ટ્રની અનેક બહેનોએ હરિજન ઉદ્ધારની પ્રવૃત્તિ માટે સક્રિય કામગીરી કરી પરિણામે જે સમયે હરીજન વાસમાં જવું તે સમાજની ધાર્મિક પ્રણાલીને ઠેશ પહોંચે છે તેવું મનાતું તે રૂઢિગત માન્યતાનો ભંગ કરી સમાજ સુધારાની દિશામાં આ સ્ત્રીઓ સક્રિય પગલું ભર્યું.ગાંધીજીના રેંટીયાને સૌરાષ્ટ્રની સ્ત્રીઓ સુધી પહોંચાડવાનું કામ પણ સ્ત્રીઓએ જ કર્યું.રમાબેન,ગંગાબેન,શારદાબેન,સરલાબેન વગેરેઅથાગ મહેનત કરી. ખાદી વણાટ અને ખાદી પ્રચારના કાર્યને પણ સ્ત્રીઓમાં ઉત્સાહપૂર્વક વધાવી લીધો.

    સામાજિક રૂઢિઓ સામે બંડ પોકારવાનું કામ સરકાર વિરુદ્ધ બંડ કરવા કરતા પણ અધરૂ કામ હતું.તે દિશામાં પહેલ કરવામાં બહેનોને સફળતા મળી. ગ્રામ્ય વિસ્તારમાં જઈ ગ્રામ્ય લોકોની ઉન્નતિના પ્રયત્ન પણ સૌરાષ્ટ્રની કમળાબહેન માલધારી બહેનોએ કર્યા. ગામડામાં જઈ ત્યાં રહીને મહિલા કલ્યાણ કેન્દ્ર,ગ્રામજનોની સેવા, અસ્પૃશ્યતા નિવારણ, ગોસેવા ગ્રામ્ય મહિલાની કમિટી ક્ષેત્રે સ્ત્રીઓએ ભગીરથ કાર્ય કર્યા.સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં પુષ્પાબેન મહેતાનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.તેઓ આજીવન સામાજીક કાર્યકર્તા રહ્યા હતા.બહેનોમાં શ્રદ્ધા પ્રેરીને જીવન જીવવા માટે સબળ બનાવનાર પુષ્પાબહેનનું સૌરાષ્ટ્રના સ્ત્રી વિકાસ ઇતિહાસમાં નોધ પાત્ર પ્રદાન રહયુ છે.

સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓના વિકાસ માટેની સંસ્થાઓ અને તેમની પ્રવૃતિઓ

ઘરની બહારની પ્રવૃતિઓમાં ભાગ લેતી સ્ત્રીઓના અનેક પ્રશ્નો વણ ઉકેલ્યા રહેતા તે સમયે સ્ત્રીઓના પ્રશ્નો સમજી શકે ને તેને ઉકેલી શકે તેવી કોઈ સંસ્થા સૌરાસ્ટ્રમાં ન હતી. ૧૯૩૦ની લડત પછી સ્ત્રી વિકાસ પરત્વે વિશેષ પ્રયત્નો થયા તેના પરિણામે સૌરાષ્ટ્ના જુદા જુદા વિસ્તારમાં સ્ત્રી સંસ્થા શરૂ કરવામાં આવી.

જો કે તે પહેલા ભાવનગર, ગોંડલ,રાજકોટ વગેરે રાજ્યોમાં સ્ત્રી સંસ્થાઑ શરૂ કરવામાં આવી હતી. જેમ કે ભાવનગરમાં ૧૯૧૩,૧૪માં રાણી નંદકુવરબાંના પ્રયાસોથી ગુજરાત હિન્દુ સ્ત્રી મંડળની એક શાખા શરૂ કરવામાં આવી હતી. જેના અક્ષરજ્ઞાન,પ્રોઢ,મહિલા ઉઘોગ જેવી પ્રવૃતિઓ શરૂ કરવામાં આવી તેમજ ઇ.સ.૧૯૧૬માં સ્ત્રી આરોગ્ય સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેના લીધે સમાજમાં કુરિવાજો, અંધશ્રધ્ધા સામે બહેનોને જાગૃત કરવાનું કામ હતું. રાજકોટમાં કાઠીયાવાડ બાલઆશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૦૭માં કરવામાં આવી હતી.પરંતુ તેનો જોઈએ તેટલો વિકાસ ૧૯૩૦ પછી જ થયો.

૧૯૩૦ની લડત પછીથી સ્ત્રીઓ ઘર બહારની પ્રવૃતિમાં રસ લેતી થઈ હતી. તેમણે સમાજનું સુષુપ્ત અંગ જાગૃત કર્યું. તેમણે સ્ત્રીઓના ઉત્થાન અને જાગૃતિનું કામ પોતાના હાથમાં લીધું અને એ રીતે સામાજિક પ્રશ્નની પરિસ્થિતીનો ઉકેલ લાવવાની દ્રષ્ટિએ સ્ત્રી પ્રવૃતિની જુદી જ દ્રષ્ટિએ શરૂઆત થઈ.આર્થિક સ્વતંત્રતા વિના સ્ત્રી પાંગળી છે. એ સૂત્ર અપનાવીને સ્ત્રીઓની સંસ્થા વિકસાવવાનો પ્રયત્ન કર્યો. વ્યક્તિ વિકાસ સ્વનિર્ણયનો અધિકાર અને સ્ત્રીનું ગૃહ તથા સમાજમાં સ્ત્રીનું સ્થાન એ તેના મુખ્ય ઉદ્દેશ હતા.

રાજકોટમાં તા.૧૬-૭-૧૯૪૫ના રોજ સ્વ.કાંતાબેન ગુલાબચંદ શેઠની સ્મૃતિમાં કાન્તા સ્ત્રી વિકાસ ગૃહની સ્થાપના કરવામાં આવી. ગુલાબચંદ શેઠના ભત્રીજા હીરાબેન શેઠે પોતાનું સમગ્ર આ સ્ત્રી સંસ્થાના વિકાસમાં અપર્ણ કર્યું. કાઠિયાવાડની સ્ત્રીઑ અન્ય સ્ત્રીઓ કરતાં પાછળ રહી ગયેલી. રાષ્ટ્રીય ચળવળ વખતે કેટલીય બહેનો બહાર આવી મહિલામંડળો દ્વ્રારા સ્ત્રીઓને ઉધોગ દ્વ્રારા પગભર કરવાનો પ્રયોગ ચાલુ થયો. નિરીક્ષરતા દૂર કરવાના પણ પ્રયાસો થતાં સામાજિક પ્રશ્નોમાં જાગૃતિ આવી છતાં કુરિવાજો માન્યતાથી પીડાતી બહેનોને બચાવવા,બહેનોનું અવમુલ્યન દૂર કરવા ઘુંઘટ પાછળ દબાયેલી દાસ્તાનમાં મુકતી અપાવવા,કન્યાને ન ભણાવવાના ખ્યાલોમાથી તેમને બહાર લાવવા, બહેનોને આર્થિક સ્વાવલંબન તરફ લઈ જવા, મારઝૂડ,દહેજ,લગ્ન જીવનમાં વિક્ષેપ વગેરેમાંથી બહેનોને બચાવવા જોઈએ તેવા વિચાર સાથે સ્ત્રી સંસ્થાઑ ઊભી થઇ. રાજકોટની કાંતા સ્ત્રી વિકાસગૃહની જેમ લોહાણા વિકાસગૃહ તથા સમગ્ર સૌરાષ્ટ્રની એક માત્ર કહી શકાય તેવી અંધમહિલા વિકાસ ગૃહની પણ શરૂઆત થઈ.અંધ બહેનોને સ્વનિર્ભર કરવાના આશયથી આ સંસ્થા શરૂ થઈ. જો સંતોકબેન બેંગાલી પૂરેપુરી વ્યવસ્થિત રીતે આગળ રહ્યા છે. અંધ બહેનોના પ્રશ્નોને ઉકેલવા તેમને પગભર કરવા તેમને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આ સંસ્થાનું મહત્વનુ પ્રદાન રહ્યું છે. અંધ બહેનોને સામાજિક ક્ષેત્રે વિકાસ કરી,સમાજના માળખામાં વ્યવસ્થિત ગોઠવવા માટેના પ્રયત્નો પણ સંસ્થાના આશયે કરવામાં આવે છે.

રાજકોટની જેમ ભાવનગર,જામનગર,વઢવાણ,મોરબી વગેરે અનેક જગ્યાએ આવી સ્ત્રી સંસ્થાઓનો વિકાસ થયો. દરેક સ્ત્રી સંસ્થાઓનું ધ્યેય તો સમાન જ હતા.બહેનોને અન્યાયમાંથી મુક્તિ અપાવવી તથા આર્થિક રીતે પગભર કરવા સ્વાવલંબી બનાવવાની તાલીમ આપવી. આજે તો સૌરાષ્ટ્રની આ બધી સંસ્થાઑ વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. અનેક બહેનોનું આશ્રય સ્થાન છે. જેનું શ્રેય હીરાબેન શેઠ, અરુણાબેન શેઠ,મંજુલાબેન દવે,યશોમતીબેન પટ્ટણી,સંતોક્બેન બેંગાલી, ભક્તિબા,સુભદ્રાબેન શેઠ વગેરે અનેક નમી અનામી બહેનોના ફાળે જાય છે.

પરંતુ મોટાભાગની સ્ત્રી સંસ્થાઓ વિકસાવવામાં પુરુષોનું પ્રદાન પણ મહત્વનુ રહ્યું છે. જેમ કે રાજકોટમાં સેવા સંઘના આશ્રયે શ્રી જેઠાલાલભાઈ જોશી જેવા પુરુષોએ બહેનોને ભગિની મંડળ તથા સ્ત્રી હુન્નર ઉધોગ શાળા જેવી મહિલા મંડળો ખોલી બહેનોને તેમના કાર્યમાં સક્રિય કરી આજે તો આ સંસ્થા ગાંધીજીની માતા પૂતળીબા ગુહઉધોગના નામથી પ્રચલિત બની અનેક બહેનોને આર્થિક સ્વાવલંબન બનાવવા માટે મદદરૂપ થાય છે.

ઉપસંહાર

સ્ત્રી શિક્ષણનો વિકાસ સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે ખૂબ જ થયો અને શિક્ષિત થયેલી સ્ત્રીઓ બૌધિક ક્ષેત્રે જાગૃતિ બની અન્યાય સામે જેહાદ જગાવવા માંડી. સમાજના મહત્વના આધારસ્તંભ ગણી શકાય તેવા ક્ષેત્ર ઉપર પોતાની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી સમાજના વિકાસના કાર્યોમાં પણ એટલી જ પ્રયત્નશીલ બની પરિણામે સૌરાષ્ટ્રમાં લેડીજ કલબોની સ્થાપના મોટાભાગના શહેરોમાં થવા લાગી. જેમ કે રાજકોટમાં સરગમ લેડીજ કલબ, ભાવનગરમાં લેડીજ કલબ, જામનગર વગેરે અનેક શહેરોમાં આવા મહિલા મંડળો ખૂલ્યા પરંતુ એ એટલુ જ સત્ય છે કે આજે સમાજમાં સ્ત્રીઓને ઘણી વખત દહેજરૂપી રાક્ષસ ભરખી જાય છે. આજે સ્ત્રીના જન્મના અધિકારને પણ છીનવી લેવામાં આવે છે,અનેક બહેનો અત્યાચારનો ભોગ બની મૃત્યુને શરણે થાય છે. અથવા દોજખ ભરી જિંદગી જીવી રહી છે. આમ વિકાસ અને વિનાશ બન્ને પરિણામો એક સાથે ચાલી રહ્યા છે.

સંદર્ભસૂચી:

  1. શાસ્ત્રી હરિપ્રસાદ તથા પરીખ પી.સી., ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ’,ભાગ-૮ અમદાવાદ,પૃ.૨૩૦
  2. .કવિ નર્મદ “નર્મગધ”,પૃ.૭૭
  3. કવિ દલપતરામ કૃત “દલપત કાવ્ય “પૃ.૩૩,૩૪.
  4. ત્રિવેદી નવલરામ, સમાજ સુધારાનું રેખા દર્શન, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી,અમદાવાદ ૧૯૩૪,
  5. એજન
  6. 'સૌરાષ્ટ્ર દર્પણ’,જુનાગઢ,સપ્ટેમ્બેર,૧૮૮૯,પૃ.૧૭૧,૭૨.
  7. ગોંડલ સ્ટેટના એડમીનિસ્ટ્રેશન રીપોર્ટ,(ઈ.સ.૧૯૧૨),પૃ.૧૫
  8. “ગુજરાત શાળા પત્ર “,જાન્યુઆરી ૧૮૮૨,પૃ.૧૨
  9. ભગવદ ગૌરવ સુવર્ણ મહોત્સવ સમિતિ, ગોંડલ,પૃ.૩૮
  10. ગોંડલ સ્ટેટના રીપોર્ટ,૧૯૧૨-૧૩પૃ.૨૩
  11. ”નવજીવન”,તા. ૬-૧-૧૯૩૦,પૃ.૩૧૭
  12. ડૉ.માણેક કલ્પાનો લેખ “સૌરાષ્ટ્રનાં સામાજિક ઉત્કર્ષમાં સ્ત્રીઓનું પ્રદાન”,રાજ દફતરે,વર્ષ ૧૯૯૬,પૃ.૩૫
  13. જોષી સતીશચંદ્ર મ. રાષ્ટ્રસેવક ત્યાગી રાજવી દરબારશ્રી ગોપાલ દેસાઈ,રાજકોટ,૧૯૮૩,પૃ.૩૫
  14. શાહ કાંતિલાલ,”પરમ સત્યાગ્રહી શ્રી ફુલચંદભાઈ શાહ”,રાજકોટ,૧૯૮૩,પૃ.૧૩


*************************************************** 

ડૉ. રમેશ એમ.ચૌહાણ
મદદનીશ પ્રાધ્યાપક
ઈતિહાસ વિભાગ
સરકારી વિનયન કોલેજ-તળાજા
ભાવનગર

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us