logo

મહાત્મા ગાંધીનું શિક્ષણદર્શન


સારસંક્ષેપ

મહાત્મા ગાંધી (૧૮૬૯-૧૯૪૮) અહિંસાના ધર્મપ્રચારક તરીકે ઓળખાય છે. વિશ્વમાં જે જીવો વસવાટ કરે છે તેમાં અહિંસાનો સિદ્ધાંત એ મનુષ્યનું ખાસ લક્ષણ છે. તેથી અહિંસાને એક શૈક્ષણિક ફિલસૂફી પણ કહી શકાય છે. તે જીવનનો પાયો છે. હાલના શિક્ષણમાં આ બાબતને કેન્દ્રના સ્થાને મૂકવાની જરૂર છે. ગાંધીજીનાં શિક્ષણદર્શનમાં બાળકના આધ્યાત્મિક વિકાસ માટેના શિક્ષણ, સામાજિક વિકાસ માટેના શિક્ષણ, સ્વની શોધ માટેના શિક્ષણ, જીવનના અનુભવોનું માટેના શિક્ષણ જેવી પાયાની બાબતોને સાંકળવામાં આવી છે. ટૂંકમાં, ગાંધીજીનું શિક્ષણદર્શન બાળકના સર્વાંગી વિકાસ માટેની એક સંપૂર્ણ દ્રષ્ટિ છે.

પ્રસ્તાવના

ગાંધીજીએ જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા બાળકના શરીર, મન અને આત્મામાં રહેલા સર્વશ્રેષ્ઠ અંશોને બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરી શકાય છે. સ્ત્રી અને પુરુષ કોઈપણ જાતના બંધન અને ભેદભાવ વગર શિક્ષણ મેળવવાને હકદાર છે. શિક્ષણનું કાર્ય બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી તેણે પૂર્ણતાની કક્ષાએ લઇ જવાનું છે. શ્રી મહાદેવભાઇ દેસાઈ આગળ વ્યક્ત કરેલ પોતાના વિચારોમાં ગાંધીજી કહે છે કે શિક્ષણ ત્યાં સુધી ઉપયોગી નથી જ્યાં સુધી તે એક સારા નાગરિકનું નિર્માણ ના કરી શકે, પછી ભલેને તે છોકરો હોય કે છોકરી. શિક્ષણ દ્વારા સારા નાગરિકોનું નિર્માણ કરીને રાષ્ટ્રને વધુ ને વધુ શક્તિશાળી બનાવી શકાય છે.

ગાંધીજીનું શિક્ષણદર્શન નીચેના હેતુઓને કેન્દ્રમાં રાખે છે –

  • આધ્યાત્મિક વિકાસ માટે શિક્ષણ
  • સામાજિક વિકાસ માટે શિક્ષણ
  • સ્વશોધ માટે શિક્ષણ
  • જીવન અનુભવો માટે શિક્ષણ
  • સર્વોદય માટે શિક્ષણ
  • વ્યાવસાયિક શિક્ષણ
ગાંધીજી સાચા શિક્ષણને આ રીતે વર્ણવે છે – “સાચું શિક્ષણ એ છે જે બાળકોના બૌદ્ધિક, આધ્યાત્મિક અને ભૌતિક પાસાઓને ઉશ્કેરી પોતાની તરફ ખેંચે છે.” એટલે કે એવું શિક્ષણ જે બાળકોને પૂરા પાડવામાં આવતાં તમામ અનુભવો તેમના સર્વાગી વિકાસ – શારીરિક, માનસિક, નૈતિક, સૌદર્યલક્ષી અને ધાર્મિક જેવા વિવિધ પાસાઓ, ને કેન્દ્રમાં રાખી કાર્ય કરે.

નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે શિક્ષણ

જ્ઞાન રૂપી પાત્ર દ્વારા અંતમાં મુક્તિ તરફ લઇ જવા માટે ગાંધીજીએ નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ પર ભાર મૂક્યો અને આ માટે ગુજરાત વિદ્યાપીઠ(૧૯૨૯)ની સ્થાપના તે એક નોંધ પાત્ર પગલું હતું, જેમાં સાહિત્યિક તાલીમની સાથેસાથે વૈજ્ઞાનિક સંશોધન, ભાષાશાસ્ત્રો, વ્યવસાયો, અગ્રેજીનો અભ્યાસ, સંસ્કૃત અને લલિતકલાની તાલીમને પણ મહત્વ આપવામાં આવે છે. જ્ઞાન જે મુક્તિ માટે રચાયેલ છે તે સમાજને આધ્યાત્મિક સ્વતંત્રતા તરફ દોરી જાય છે. ગાંધીજી કહે છે, “ શિક્ષણ એ આત્માની જાગૃતિ છે.” (ભાટિયા, બી. કે. શિક્ષણ તત્વજ્ઞાન, પૃ.૧૪)

આધ્યાત્મિક વિકાસ માટે ગાંધીજીએ અહિંસા (પુન:અર્થઘટન ‘પ્રેમ’ તરીકે), સ્વ, લાગણીનો સ્વીકાર, પ્રાથનાનું શિક્ષણ વગેરે બાબતો પર ભાર મૂક્યો છે. (મુકાલેલ, જોસેફ સી., ગાંધીજીનું શિક્ષણદર્શન, પૃ. ૬૦-૬૫)

વિકાસશીલ સમાજ અને લોકશાહીના વિકાસ માટે શિક્ષણ

ગાંધીજીના શિક્ષણના હેતુઓમાં બાળકોમાં શિક્ષણ દરમિયાન સહાનુભૂતિ, સેવા, પ્રેમ, ભાઈચારો, સમાનતા અને સ્વતંત્રતા જેવા ગુણોનું સિંચન કરી આદર્શ નાગરિક બનાવવાનાં હેતુઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ગાંધીજી કહે છે, “ વ્યક્તિગત અને રાષ્ટ્ર કલ્યાણ એકબીજાના પૂરક છે. તેથી તેમનામાં વધુને વધુ લોકશાહી નાગરિકત્વનાં ગુણો વિકસાવવા જોઈએ. જેથી એક રાષ્ટ્રના નિર્માણ અને વિકાસમાં તેઓ ભાગીદાર બને.”

સામાજિકતા અને સર્વોદયનાં વિકાસ માટે ગાંધીજી કહે છે કે શિક્ષણ દેશની જરૂરિયાતોને પૂરી કરનર હોવું જોઈએ. દેશ અને દેશની જરૂરિયાતોથી પરિચિત હોવાથી ગાંધીજી મફત અને હસ્તકળા કેન્દ્રિત શિક્ષણની હિમાયત કરે છે. કારણ કે ભારતના ગામડાઓનાં ગરીબ લોકો શિક્ષણ માટે નાણા ચૂકવી શકે તેમ નથી. માટે તેમના માટે હસ્તકલાનાં શિક્ષણ દ્વારા રોજીરોટી મેળવવાની તક ઊભી કરી શકે તેવા શિક્ષણને મહત્વનું વધારે છે. આથી ગાંધીજીની સામાજિક ફિલસુફી ‘સર્વોદય’ તરીકે પણ ઓળખાય છે. જેમાં વ્યક્તિગ વિકાસ દ્વારા સર્વના વિકાસની બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જાતિ, પંથ, જ્ઞાતિ અને રાષ્ટ્રીયતાના ભેદભાવ વિનાના સર્વાંગી વિકાસનો ધ્યેય રાખવામાં આવેલ છે. સર્વોદય દ્વારા સામાજિક અનિષ્ટોનું રાજકીય, આર્થિક સામાજિક રીતે વિકેન્દ્રીકરણ કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્યોને હાંસલ કરવા ગાંધીજીએ જે શિક્ષણ યોજના રજુ કરી તેણે ‘નઈ તાલીમ’ નામ આપવામાં આવ્યું જેણે દેશમાં એક નવા સમાજની રચના કરવાની માગ ઊભી કરી. આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય નવજીવનના વિવિધ વિભાગોની જરૂરિયાતોને પરિપૂર્ણ કરી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બાબતોમાં કલ્યાણ અર્થે માર્ગદર્શન આપવાની બાબત કેન્દ્રમાં રાખવામાં આવી. આમ, ગાંધીજીની શિક્ષણની ફિલસુફી માનવતાવાદ પર આધારિત છે એમ કહી શકાય.

સ્વશોધ માટે શિક્ષણ

સ્વશોધને સ્પષ્ટ રીતે મહત્વ આપતા ગાંધીજી જણાવે છે, “હું વ્યક્તિગત સ્વતંત્રતાની કદર કરું છું, પરંતુ તમે એ ન ભૂલશો કે માણસ અનિવાર્યપણે સમાજમાંથી આવે છે અને સમાજની જરૂરિયાતો અને પ્રગતિ માટે તેણે પોતાના વ્યક્તિત્વને સંતુલિત કરતા શીખીને પોતાની જાતને ઉપર લાવવી જોઈએ.”

કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા તેઓ કહે છે, “જો તમારું શિક્ષણ જીવનને લગતું હોય તો તેની સુગંધ જરૂર તેની આસપાસના યુવાનોમાં પ્રસરાવી જોઈએ. તમારે તમારા સમયનો થોડો ભાગ તમારી આસપાસ રહેતા લોકોની સેવા કરવામાં ખર્ચવો જોઈએ. માટે તમારે પાવડા, ઝાડું અને ટોપલો લઇ તૈયાર થઇ જવું જોઈએ. આ પવિત્ર જગ્યાના સ્વેછિક સફાઈ કામદાર બનવું જોઈએ. તે જ તમારા શિક્ષણનો સૌથી કિંમતી ભાગ હશે, નહિં કે સાહિત્યિક પુસ્તકોને ગોખવા.”

વિવેકાનંદની જેમ ગાંધીજી પણ ચારિત્ર્ય નિર્માણ અને માનવ કૌશલ્યોને એક સમાન મહત્વ આપે છે. (શર્મા, ડૉ. આર. કે., શિક્ષણની ફિલસુફી અને સમાજશાસ્ત્ર, નવીદિલ્હી, સુરજીત પ્રકાશન)

જીવન અનુભવો માટે શિક્ષણ

જીવન અનુભવોના શિક્ષણ માટે ગાંધીજી પાયાના શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણને પ્રાધાન્ય આપે છે. શિક્ષણ મેળવ્યા બાદ બાળક પોતાની જાતને સ્વનિર્ભર બનાવી શકે તે માટે ગાંધીજી નીચેની બાબતોને ધ્યાનમાં લે છે –

પાયાનું શિક્ષણ

સર્વોદય સમાજના બાળકોની જરૂરિયાતોને પૂરી કરવા ગાંધીજી કાર્ય શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણને મહત્વ આપે છે. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ પાયાનું શિક્ષણ નીચે મુજબના સિદ્ધાંતો પર કેન્દ્રિત છે –

  • પ્રથમ સાત વર્ષ માટે મફત અને ફરજીયાત શિક્ષણ
  • માતૃભાષા દ્વારા શિક્ષણ
  • આ સમયગાળા દરમિયાન બાળકને તેના વાતાવરણને અનુરૂપ હસ્તકળાની તાલીમ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું.
સમવાયી શિક્ષણ

દેશમાં શાંત સામાજિક ક્રાંતિ લાવતા પાયાના શિક્ષણની વાત કરતા ગાંધીજી કહે છે, “આનાં દ્વારા સામાજિક દુષણોથી ઘેરાયેલ સમાજમાં શહેર અને ગામડા તથા વિવિધ જાતિ વચ્ચેના વૈમનસ્યમાં ઘટાડો થશે અને નવા સંબંધો વિકસાવવામાં મદદરૂપ થશે....”

કાર્યશિક્ષણ દ્વારા ગાંધીજી કહે છે, “બાળકના શરીર, મન અને આત્માના આત્માનો સર્વાંગી વિકાસકાર્ય શિક્ષણ દ્વારા થાય છે. તેના દ્વારા ઈતિહાસ, ભૂગોળ ગણિત જેવા વિષયોને કાર્યશિક્ષણ સાથે સાંકળી સમવાયી શિક્ષણ દ્વારા બાળકમાં રહેલી શક્તિઓને બાહર લાવવાની છે. કાર્યશિક્ષણમાં કાંતવું, સુથારીકામ, ખેતી, બાગાયત જેવા વિવિધ ગ્રામીણ કૌશલ્યોને મહત્વના ગણાવ્યા છે. વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતો આધારિત, સ્થાનિક જરૂરિયાતો આધારિત, સ્થાનિક પરિસ્થિતિ આધારિત, બાળકના રસ, રુચિ અને વલણ આધારિત, બિનખર્ચાળ અને સાદગી આધારિત અને બાળકોના સર્વાંગી વિકાસ આધારિત કાર્યશિક્ષણ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત પણ હતું. પોતાના જીવનનિર્વાહ માટેના શિક્ષણના હિમાયતી ગાંધીજી શિક્ષણના માધ્યમ તરીકે તો માતૃભાષાને મહત્વની ગણે છે. ગાંધીજીને મન માતૃભાષા એ માતાનાં ધાવણ સમાન છે, જે બાળકનું જીવનપોષણ કરે છે. જડ સમયપત્રક વિનાના શિક્ષણ દ્વારા શિક્ષણનો ભાર ઘટાડવાની વાત ગાંધીજી કહે છે.

વ્યાવસાયિક શિક્ષણ

ગાંધીજી એ ભારતની બેરોજગારીને ધ્યાનમાં રાખીને વ્યાવસાયિક શિક્ષણ મહત્વ આપ્યું છે. તેઓ કહે છે, “ચૌદ વર્ષની ઉમરે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ દરેક બાળક પોતાના ઘર માટે એક કમાઉ એકમ બની રહેવો જોઈએ... જે આગળ જતાં તેમની હીન ભાવનાને ઘટાડે છે. અને આથી જ શિક્ષણ દરેકને રોજી મેળવવામાં મદદ કરનાર બની રહેવું જોઈએ જેથી બેરોજગારીની માત્રામાં ઘટાડો કરી શકાય.” (સત્યનો અવાજ – ભાગ ૬)

આમ, કહીએ તો ગાંધીજીનું શિક્ષણદર્શન એ માત્ર બાળકના સર્વાંગી વિકાસને જ કેન્દ્રમાં રાખતું નહોતું પરંતુ તેને મેળવ્યા બાદ તેને પોતાને સ્વનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારના ભરણપોષણમાં સહાયક બનવા માટે સક્ષમ બનાવનાર છે. બાળકમાં આત્મવિશ્વાસ અને આત્માસન્માનની ભાવનાનો વિકાસ કરનાર છે. જે આજના સાંપ્રત સમયમાં ખૂબ જ જરૂરી પુરવાર થાય તેમ છે

સંદર્ભ::

  1. ગાંધી, એમ. કે. (૧૯૯૭). મારા સત્યનાં પ્રયોગો, અમદાવાદ: નવજીવન પ્રકાશન મંદિર.
  2. જાડેજા, ડૉ. રાજેન્દ્રસિંહ અને જોષી, ડૉ. પિયુષ, સાહિત્ય શિક્ષણ, વલ્લભ વિદ્યાનગર: એચ. એમ. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ઈંગ્લીશ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ.
  3. મુકાલેલ, જોસેફ સી. (૧૯૯૭). ગાંધીયન એજ્યુકેશન, નવીદિલ્હી: ડિસ્કવરી પબ્લીશીંગ હાઉસ.
  4. શર્મા, ડૉ. આર. એન. (૧૯૯૭). ફિલોસોફી એન્ડ સોસીઓલોજી ઓફ એજ્યુકેશન. દિલ્હી: સુરજીત પબ્લિકેશન્સ.
  5. શર્મા, ડૉ. આર. એન. (૧૯૯૭). પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનીક્સ ઓફ એજ્યુકેશન. દિલ્હી: સુરજીત પબ્લિકેશન્સ.
  6. ગાંધીજીના શિક્ષણના વિચાર. Retrieved from http://www.gandhi-manibhavan.org/gandhiphilosophy/philosophy_education_aspergandhi.htm

*************************************************** 

અનિલ કે. વરસાત
એચ. એમ. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ઈંગ્લીશ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ, વલ્લભ વિદ્યાનગર
Mo. 9426315705, Email - anilvarsat07@gmail.com

ચિંતન એમ. પરમાર
શ્રી પી. એમ. પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન (બી.એડ્.), આણંદ
Mo. 9228158416, Email - cmparmar79@gmail.com

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us